Search This Website

Wednesday, August 25, 2021

ચલો સ્કૂલ ચલે હમ:ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની 20 હજાર શાળામાં 32 લાખ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે




✍️✍️✍️ચલો સ્કૂલ ચલે હમ:ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની 20 હજાર શાળામાં 32 લાખ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે






ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.



ઓફલાઈનની સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રખાશે
સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યા છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે, જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા એનો નિર્ણય લેવામાં આવશે. જોકે બાળકોએ શાળાએ આવવું ફરજિયાત નથી. બીજી તરફ સ્કૂલોએ ફરજિયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.



58 ટકા વાલીઓએ સંમતિ આપી
કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે. બીજી તરફ, અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ શું ઈચ્છે છે એ માટે તેમનો સંપર્ક કર્યો હતો. એમાં 58 ટકા જેટલા વાલીઓએ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી હતી. બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગોના 1,850 વાલીનો સંપર્ક કર્યો હતો, જે પૈકી 1,323એ પ્રતિભાવ આપ્યા હતા. આ પૈકી 58 ટકા એટલે કે 778 વાલીએ સરકારની મંજૂરી મળ્યા પછી પોતાનાં સંતાનોને શાળાએ મોકલવા અંગે તત્પરતા દર્શાવી હતી.



વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતાં અચકાય છે
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. વાલીઓએ સરકાર પાસે ઓનલાઇન શિક્ષણમાં જ સારો અભ્યાસ કરાવવા અપીલ કરી છે. બીજી તરફ, સ્કૂલો પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઇન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે, જેથી સ્કૂલો પણ વાલીઓને પોતાના બાળકને સ્કૂલે ઑફલાઈન ભણાવવા મોકલવા સમજવી રહી છે.



ગત 18 ફેબ્રુઆરીએ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા હતા.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.



Source link
Read More »