બ્રિટનમાં વેક્સીન લગાવી ચૂકેલા 50 ટકા લોકો કોરોનાથી સંક્રમિત

- બ્રિટનમાં ઝડપથી વધી રહેલો કોરોના
- બ્રિટન માટે આગામી સાત દિવસ અત્યંત મહત્ત્વના: આરોગ્ય નિષ્ણાત
લંડન : બ્રિટનમાં કોરોનાનો ચેપ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં રસી લેનારા પુખ્ત લોકોમાં પણ કોરોનાનો ચેપ ઝડપતી વધી રહ્યો છે.
આ અંગે બ્રિટનની કિંગ્સ કોલેજ લંડનના વરિષ્ઠ વાઇરસ ટ્રેકિંગ સ્પેશ્યાલિસ્ટ પ્રો. ટીમ સ્પેક્ટરનું કહેવું છે કે બ્રિટનમાં કોરોનાના રોગચાળાની ત્રીજી લહેર ટોચ પર છે. અહીં કોરોનાગ્રસ્ત લોકોમાં ૮૭.૨ ટકા લોકો એવા છે જેમને રસી લગાવાઈ ચૂકી છે.
છ જુલાઈના રોજ ૧૨૯૦૫ એવા લોકોમાં વાઇરસને સમર્થન મળ્યું જેને રસી લાગી ચૂકી હતી. આનાથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે છ જુલાઈએ કોરોના પોઝિટિવના મળેલા કેસોમાં ૫૦ ટકા કેસ રસી લઈ ચૂકનારા લોકોમાં મળ્યા હતા. પ્રોફેસર સ્પેક્ટરના અનુમાન મુજબ આગામી સમયમાં આ ગ્રાફ હજી પણ ઉચકાઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે હજી પણ રોગચાળાને વધારે ભયાનક થતી રોકવા માટેની તક છે, જો તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો તો પછી સ્થિતિ વણસતા વાર નહી લાગે.
સાઉથ ટાઇનેસાઇડ કાઉન્સિલના પબ્લિક હેલ્થ ડિરેક્ટર પ્રોફેસર ટોમ હોલ મુજબ બ્રિટનમાં ત્રીજી લહેરમાં કોરોનાની રસી લીધી હોય તેવા લોકોને પણ તેનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડયું છે. આ કેસો ઝડપથી વધી રહ્યા છે. આ સંજોગોમાં બ્રિટનમાં આગામી સાત દિવસ ઘણા મહત્ત્વના છે. લોકોને અપીલ છે કે તે કોરોનાના નિયમોનું પાલન કરે, જેથી ચેપને અંકુશમાં લાવી શકાય. નિયમોમાં જરા પણ બેદરકારી દાખવવામાં આવી તો સ્થિતિ બગડી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં રસી લેનારા બ્રિટિશ નાગરિકોમાં લક્ષણવાળા કોરોના સંક્રમણમાં ૨.૪ ટકાનો ઘટાડો થયો છે. પાંચ જુલાઈના રોજ કોરોનાના ૨૦,૯૭૩ કેસ મળ્યા હતા તો છ જુલાઈના રોજ તેની સંખ્યા ઘટીને ૨૦,૪૮૭ થઈ ગઈ હતી. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં ત્રણ હજારથી વધારે દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવા પડી શકે છે, જેથી તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.
No comments:
Post a Comment