Search This Website

Wednesday, July 14, 2021

શિક્ષણ વિભાગ મોડે-મોડે જાગ્યો:15મીથી સ્કૂલો શરૂ કરવાનો પરિપત્ર 24 કલાક પહેલાં જ જારી કરાયો અને એ પણ 'દિવ્ય ભાસ્કર'માં અહેવાલ પ્રસિદ્ધ થયો એ પછી!


📚શિક્ષણ વિભાગ મોડે-મોડે જાગ્યો:15મીથી સ્કૂલો શરૂ કરવાનો પરિપત્ર 24 કલાક પહેલાં જ જારી કરાયો અને એ પણ 'દિવ્ય ભાસ્કર'માં અહેવાલ પ્રસિદ્ધ થયો એ પછી!

અમદાવાદએક કલાક પહેલા

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ફાઈલ તસવીર.

સ્કૂલ-સંચાલકો હવે દ્વિધામાં મુકાયાઃ 24 કલાકમાં કેવી રીતે વાલીઓની સંમતિ લેવી ને તૈયારીઓ કરવી
પરિપત્ર અનુસાર, જે વિદ્યાર્થી સ્કૂલે જવા ન માગતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રહેશે
સ્કૂલોએ હવે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારનું શિક્ષણ ચાલુ રાખવાનું, શિક્ષકોની કઠણાઈ વધી


રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાને પગલે સરકારે વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક વર્ષમાં 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો ઓફલાઇન શરૂ કરવાની શિક્ષણમંત્રીએ 5 જુલાઈએ જાહેરાત કરી હતી. ત્યાર બાદ 9 જુલાઈએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. જોકે આ અંગે કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા જાહેર નહીં કરાતાં સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં મુકાયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે 14 જુલાઈએ સવારે 11.30 વાગ્યે પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થયાની 45 મિનિટમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને 15 જુલાઈથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની માર્ગદર્શિકા આપી છે.

મહત્તમ 50% કેપેસિટી સાથે ઓફલાઇન સ્કૂલ શરૂ કરી શકાશે
દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં સ્કૂલો શરૂ થવા અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર કે માર્ગદર્શિકા જાહેર કરી નથી એવો ઉલ્લેખ હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક શિક્ષણ વિભાગે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં હાલ 50 ટકા કેપેસિટી સાથે સ્કૂલોમાં ધોરણ-12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે, જોકે વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફે તમામ નિયમોનું પાલન કરવું પડશે, ક્લાસરૂમને રેગ્યુલર સેનિટાઇઝ કરવાના રહેશે.



વાલીઓ સંમતિપત્ર ભરી આપશે તો જ સ્કૂલમાં પ્રવેશ અપાશે
શિક્ષણ વિભાગના આ પરિપત્ર અનુસાર, પોતાના પાલ્યને ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે મોકલવા વાલીઓએ ફરજિયાત સંમતિપત્ર ભરી આપવું પડશે. જે વાલીની લેખિતમાં સંમતિ હશે તેનાં પાલ્યોને જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવવા માગતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. રસપ્રદ છે કે શિક્ષણ વિભાગે આવતીકાલથી સ્કૂલ શરૂ કરવાની છે એના 24 કલાક કરતાં પણ ઓછા સમય પહેલાં આ પરિપત્ર જારી કર્યો છે. આ કારણથી હવે સ્કૂલો પણ મુશ્કેલીમાં મુકાઈ છે કે એક દિવસમાં વાલીઓ પાસેથી સંમિતપત્ર કેવી રીતે લેવા અને તાત્કાલિક તમામ વ્યવસ્થા કેવી રીતે કરવી.

વાલીઓને સ્કૂલને સંમતિપત્ર ભરીને આપવું પડશે, સંમતિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

સ્કૂલ-સંચાલકોએ સ્પષ્ટતાના અભાવે મૂંઝવણ વ્યક્ત કરી હતી
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે અગાઉ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 15મી જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલથી જ સ્કૂલ શરૂ થવાની છે, પરંતુ આજે સવાર સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા આપવામાં આવી નહોતી, જેથી કાલથી સ્કૂલ શરૂ કરવી કે નહીં એ અંગે પ્રશ્ન હતો. સ્કૂલ શરૂ કરવાનો પરિપત્ર આવે કે ના આવે, પરંતુ અમે અમારી રીતે તૈયારી કરી છે. સરકાર તરફથી સૂચના મળે એ બાદ જ અમે સ્કૂલ શરૂ કરીશું.

શિક્ષણમંત્રીએ ધો.12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવા જાહેરાત કરી હતી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ધોરણ 12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી હતી. કોરોનાના કેસ ઘટતાં કેટલાય સમયથી ઓનલાઇન ચાલી રહેલા શિક્ષણ હવે ધીરે ધીરે ઓફલાઈન કરવા સરકાર વિચારણા કરી રહી છે, જેથી ધોરણ 12ના વર્ગ ઓફલાઈન શરૂ કર્યા બાદ તબક્કાવાર 9થી 11ના વર્ગ શરૂ કરવા આયોજન છે, પરંતુ હજુ સુધી ધોરણ 12ના વર્ગ શરૂ કરવા શિક્ષણમંત્રીએ માત્ર જાહેરાત કરી છે. મોટા ઉપાડે જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. એને કારણે સ્કૂલ-સંચાલકો સ્કૂલ શરૂ કરવા તૈયારી કરવી કે નહીં એ અંગે મૂંઝવણમાં છે.

Yઆ તસવીર પ્રતીકાત્મક છે.

15મીથી ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી દ્વારા ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, એની અમને જાણ છે, પરંતુ સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા કે સૂચના આપવામાં આવી નથી અને બીજી તરફ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે તો એ વચ્ચે પણ અમે સ્કૂલ શરૂ કરવા તૈયાર છીએ, પરંતુ સરકાર દ્વારા કોઈ પરિપત્ર ન મળતાં હજુ મૂંઝવણ છે.

સ્કૂલો પરિપત્ર મળ્યા બાદ જ ઓફલાઈન ક્લાસ શરૂ કરશે
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, જે બાદ અમે તૈયારી કરી છે. અત્યારે અમે વાલીઓ પાસે સંમતિપત્ર મેળવી રહ્યા છે. વાલીઓ પાસેથી સંમતિ મળે એ બાદ અમે સ્કૂલ શરૂ કરીશું. આવતીકાલથી સ્કૂલ શરૂ થવાની જાહેરાત છે, પરંતુ અમે શરૂ નહીં કરીએ.

હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ છે અને રહેશે
15 જુલાઈથી સ્કૂલ શરૂ થવાની જાહેરાત છે. બીજી તરફ, 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થાય છે, જેથી સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં છે. અત્યારે તમામ ક્ષેત્ર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે, માત્ર સ્કૂલ શરૂ થવાની બાકી છે, જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી રહી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહે મોટા ઉપાડે જાહેરાત કરી છે, પરંતુ એના અમલવારી માટે કોઈ પરિપત્ર ના આપતાં સ્કૂલ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયાં છે. સરકારના આયોજનના અભાવનું પરિણામ હવે વિદ્યાર્થીઓએ ભોગવવું પડી શકે છે.

No comments:

Post a Comment