Search This Website

Monday, June 14, 2021

શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની સુપ્રિમ કોર્ટે પ્રશંસા કરી




શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની સુપ્રિમ કોર્ટે પ્રશંસા કરી

ગાંધીનગર: દેશની સુપ્રિમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે. અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ મોડેલનું અનુસરણ કરવા કહ્યું છે. પ્રવાસી શ્રમિકોની પીડા અને સમસ્યાઓ સંદર્ભેની સુઓમોટો રિટ પિટિશન પરની સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે ઉક્ત કામગીરીની નોંધ લીધી છે




મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘શ્રમ એવ જયતે’ ના અભિગમને મૂર્તિમંત કરતા અસંગઠિત ક્ષેત્રોમાં અને બાંધકામ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ આપી શકાય એ હેતુ તેમની નોંધણી માટે ઈ-નિર્માણ પોર્ટલ લોન્ચ કર્યું છે. શ્રમિકો પોતાની રોજીરોટી માટેનો દિવસ બગાડ્યા વિના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા સાથે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. એટલું જ નહીં નોંધાયેલા શ્રમિકોને યુ-વીન કાર્ડ આપવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઑનલાઈન નોંધણી કરવાની પહેલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં 6 લાખ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં શ્રમિકોના વસવાટના સ્થળો અને કાર્યસ્થળો પર જઈને શ્રમિકોની નોંધણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 21,291 કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પણ શ્રમિકોની નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકો આધાર નંબર, બેંક એકાઉન્ટની વિગત, રેશનકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર જેવા જુજ પુરાવા આપીને નોંધણી કરાવી શકે છે.

સુપ્રિમ કોર્ટે ગુજરાતની આ પહેલની પ્રશંસા કરી છે અને વધુ ને વધુ શ્રમિકોની નોંધણી થાય તથા ગુજરાતના ઈ-નિર્માણ પોર્ટલના માધ્યમથી વધુને વધુ શ્રમિકોને લાભ થાય એવા નિર્દેશો પણ આપ્યા છે. ગુજરાત સરકારની આ પહેલથી કેટલા શ્રમિકોને લાભ મળ્યો એની વિગતોથી આગામી બે અઠવાડિયામાં સર્વોચ્ચ અદાલતને વાકેફ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અસંગઠીત શ્રમયોગીઓ પૈકીના બાંધકામ શ્રમિકોને રૂ. 500 પ્રસુતિ સહાય અને રૂ. 2000ની ઉચ્ચક સહાય આપવામાં આવતી હતી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદનાપૂર્ણ અભિગમથી આ રકમ વધારીને રૂ. 27,500 કરી દીધી છે. એટલું જ નહીં શ્રમિકોના પરિવારમાં દીકરીના જન્મ પ્રસંગે રૂ. 10,000ના ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. શ્રમિકોના અકસ્માત મૃત્યુના કિસ્સાઓમાં વારસદારને રૂપિયા ત્રણ લાખની સહાય આપવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલતે આ સુનાવણી દરમિયાન તમામ રાજ્યોને સ્થળાંતરિત શ્રમિકો માટે કોમ્યુનીટી કિચન શરૂ કરવા પણ જણાવ્યું છે. ગુજરાત આ દિશામાં પણ અગ્રેસર છે. રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ શ્રમિકોને મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને કડિયાનાકા પર જ માત્ર રુ. 10ના નજીવા ભાવે સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના બીજા વૅવ દરમિયાન સ્થગિત આ યોજના હવે કૉવિડ પ્રોટોકોલના નિયમપાલન સાથે તાકીદે શરૂ કરાશે








No comments:

Post a Comment