Search This Website

Tuesday, April 27, 2021

વધુ કડક પગલાં:રાજ્યમાં વધુ 9 શહેરોમાં 5 મે સુધી રાત્રિ કર્ફ્યૂઃ શહેરોમાં સરકારનું 'મિનિ લોકડાઉન', ગામડામાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન





વધુ કડક પગલાં:રાજ્યમાં વધુ 9 શહેરોમાં 5 મે સુધી રાત્રિ કર્ફ્યૂઃ શહેરોમાં સરકારનું 'મિનિ લોકડાઉન', ગામડામાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન
અમદાવાદ26 મિનિટ પહેલા

ફાઈલ તસવીર

હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથમાં રાત્રિ કર્ફ્યું લાગુ
અમદાવાદ સહિત તમામ 29 શહેરોમાં 5 મે સુધી મોલ-મલ્ટિપ્લેક્સ, પાર્ક, રેસ્ટોરાં તથા ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે બંધ રહેશે
અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે



કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના વધુ 9 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી બનાવ્યો છે. અત્યારસુધી 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી હતો જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતના કુલ 29 શહેરમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યુ 5મી મે સુધી અમલી રહેશે. તદઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ ગુજરાતના શહેરોમાં સરકારનું 'મિનિ લોકડાઉન' અને ગામડાઓમાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન અમલમાં આવ્યું છે.

કેન્દ્રની માર્ગદર્શિકાના પગલે રૂપાણી કેબિનેટે 1 વર્ષ જૂના નિયમો ફરી લાદયા
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે આજે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પછી કોરોનાને કાબૂમાં લેવા 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવા સહિતના મહત્વના નિર્ણયો કર્યા. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના એકમો બંધ રહેશે જ્યાં ભીડ-ભાડ એકત્ર થતી હોય છે. આ સાથે જ ગુજરાતમાં પ્રતિબંધિત એકમોની યાદી ફરીથી મોટી મસ થઈ ગઈ છે જે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે મે-2020માં અમલી હતી તેવી જ થઈ ગઈ છે. આમ, ગુજરાત કોરોના મહામારી સામેની લડતમાં બરાબર એક વર્ષ પહેલા જ્યાં હતું ત્યાં જ પાછું પહોંચી ગયું છે.

આ 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે

હિંમતનગર પાલનપુર
નવસારી વલસાડ
પાોરબંદર બોટાદ
વિરમગામ છોટાઉદેપુર
વેરાવળ-સોમનાથ અમદાવાદ
વડોદરા સુરત
ગાંધીનગર રાજકોટ
જામનગર જૂનાગઢ
આણંદ ભાવનગર
મહેસાણા નડિયાદ
પાટણ મોરબી
દાહોદ ગોધરા
ગાંધીધામ ભૂજ
ભરૂચ સુરેન્દ્રનગર
અમરેલી


હજી 6 એપ્રિલે જ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લદાયો હતો
આ પહેલા ગુજરાત સરકારે ગત 6 એપ્રિલે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો. આ શહેરોમાં કોરોનાની સ્થિતિ અત્યંત વકરી ચૂકી હોવાને કારણે સરકારે આ નિર્ણય લીધો હતો અને 5 મે સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી.

ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉનનો ચુસ્ત અમલ ચાલુ જ છે
શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે. બીજીતરફ રાજ્યના ગામડાઓમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાં બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે. ગામડાઓમાં સ્વયંભૂ જાગૃતિ હવે જોવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નિકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા તેનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે.


સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત​​​​​​
આ નિયંત્રણ તા. 28મી એપ્રિલ-2021 બુધવારથી તા. 05મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.
આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે સવારે બેઠકનું આયોજન
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર

હાઈકોર્ટે સુઓમોટો PIL કરતા સરકાર હરકતમાં આવી હતી
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 એપ્રિલે રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.

બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી હતી. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાથી હેલ્થ ઈમર્જન્સી જેવી સ્થિતિ

ગુજરાતમાં હેલ્થ ઈમર્જન્સી જેવી સ્થિતિ
ગુજરાત રીતસર હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરી રહ્યું છે, એમાં પણ તંત્ર અને સરકારની અણઆવડતને પગલે દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. સોમવારે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 14,340 નવા કેસ નોંધાયા છે, જોકે તે 25 એપ્રિલ કરતાં માત્ર 44 વધારે છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5 લાખને પાર થયો ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,10,373 કેસ નોંધાયા છે. જ્યારે 7,727 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 158 દર્દીનાં મોત થયાં છે. જે 25 એપ્રિલ કરતાં એક વધુ છે. સતત ત્રણ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે.

હાલમાં રાજ્યમાં 1.20 લાખથી વધુ એક્ટિવ કેસ

1,21,461 એક્ટિવ કેસ અને 412 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 86 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખ 10 હજાર 373ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 6,486 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 82 હજાર 426 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,21,461 એક્ટિવ કેસ છે, જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,21,049 દર્દીની હાલત સ્થિર છે.

No comments:

Post a Comment